ગાંધીજીના રામ વિષયક વિચારો :

                                    – ડૉ. બી. વી. દેસાઈ   

આપણે સૌ જાણીએ છીએ તેમ ગાંધીજીએ હરિજન બંધુ, નવજીવન, યંગ ઇન્ડિયા, ઇન્ડિયન ઓપિનિયન, હરિજન અને હરિજન સેવક જેવાં સામયિકોમાં અનેક વિષયો ઉપર લખાણ લખીને પોતાના વિચારો સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચાડ્યા છે. ધાર્મિક, આર્થિક, રાજકીય અને કેળવણી વિષયક પણ તેઓ અવારનવાર ભાષણો આપતા અને લેખો લખતા હતા. શ્રી ભારતન કુમારપ્પાએ અંગ્રેજીમાં સંપાદિત કરેલું પુસ્તક નવજીવન કાર્યાલયે પ્રસિદ્ધ કરેલું તેના આધારે ‘રામનામ’ નામનું પુસ્તક તૈયાર થયું. ‘રામનામ’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ વર્ષ 1949માં થઈ. આ પુસ્તકમાં કુલ બેતાળીસ પ્રકરણો છે. આ ‘રામનામ’ નામના પુસ્તકમાં ગાંધીજીના રામ વિષયક વિચારો રજૂ થયા છે.

ગાંધીજી જ્યારે નાના હતા ત્યારથી જ તેમના બાળ માનસમાં રંભા નામની તેમની નોકર હતી તે દાઈ પાસેથી રામનામનાં બીજારોપણ થયાં તે રામનામ જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી રહ્યું.

આધ્યાત્મિક, માનસિક અને શારીરિક ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે. એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. તેમણે ઘણીવાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે. રામરસ એસા હે મેરે ભાઈ જો કોઈ પીએ અમર હો જાય…

ગાંધીજી ભૂતપ્રેત આદિથી ડરતા હતા. તેનું ઔષધ રામનામ છે એમ રંભા દાઈએ સમજાવ્યું હતું. આ બચપણમાં રોપાયેલું બીજ બળી નહોતું ગયું. ગાંધીજી કહે છે કે –

‘રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું.’

રામનામની ઊંડી છાપ પાડનારી બીજી વસ્તુ લાધા મહારાજ પાસેથી સાંભળેલી રામાયણ છે. આ રામાયણના શ્રવણ ગાંધીજીના રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. તેના કારણે બાપુ કહે છે કે –

‘આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.’ (પૃ.10)

ગાંધીજીએ રામનામને સૌથી સહેલો મંત્ર ગણાવ્યો છે. આપણા હૃદયમાં રામનામ અંકિત થઈ જવું જોઈએ. માણસ રામનું શરણ સ્વીકારે એટલે બાકીનું બધું પાછળથી તેને મળી રહેશે.

રામનામના મોટાભાગના લેખો હરિજનબંધુ સામયિકમાં પ્રગટ થયા હતા. ગાંધીજીએ કહ્યું છે કે માણસે રામનામને હૃદયમાં અંકિત કરવા અથાગ પરિશ્રમ કરવો જરૂરી બને છે. ધીરજની પણ જરૂર રહે છે. આ રામનામ પારસમણિ કરતાં પણ અમૂલ્ય ગણાવ્યો છે.

રામનામની હાંસી લેખમાં રામનામનું મૂલ્ય સમજાવતાં ગાંધીજી લખે છે કે –

‘રામનામ જેવું રામબાણ ઓસડ લેવામાં સતત જાગૃતિ નહીં હોય, તો રામનામ ફોકટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.’ (પૃ.22)

રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. પોતાના સ્વાર્થને ખાતર કે અન્યના અહિતને ખાતર રામનામ જપવું યોગ્ય નથી. રામનામનો પ્રચાર લેખમાં ગાંધીજીએ રામનામને ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન રટવા જણાવ્યું છે.

ગાંધીજીની એક સલાહ હતી કે તમે સૌ એકમાત્ર ઈશ્વરની ગુલામી સ્વીકારો. પછી તમે કોઈ માણસ કે માણસોની ટોળી આગળ તમારી ગરદન નહીં ઝુકાવો. આ રામનામની કે ઈશ્વરના નામની તાકાત છે. રામનામ માત્ર જીભ ઉપર જ રહે તો તેનો કોઈ અર્થ નથી. પરંતુ જો તે આપણા હૃદયમાં વસે તો તેનો ઘણો ચમત્કાર થાય. રામનામને ગાંધીજીએ કુદરતી ઉપચારની સાથે જોડ્યું છે. તેઓ કુદરતી ઉપચાર નામના લેખમાં લખે છે કે –

‘સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના બાકી થોથાં.’ (પૃ.30)

આમ, ખરેખર ! રામનામ પોથી માંહેલાં રીંગણાં નથી, એ તો અનુભવની પ્રસાદી છે. રામનામનો ડર રાખીને જો માણસ ચાલે તો તેને પછી રાજા શું કે રંક શું, કોઈનાથીયે બીવાપણું નહીં રહે.

રામનામની સાથે સાથે ગાંધીજીના આયુર્વેદ અને નૈસર્ગિક ચિકિત્સા, કુદરતી ઉપચાર, યૌગિક ક્રિયાઓ, કુદરતના નિયમો અને સર્વધર્મસમભાવ વિશે પણ વાત કરી છે. રામનામથી આપણને સફળતા મળે છે. નિષ્ફળતાનો અર્થ આપણામાં જ કંઈ ખામી છે તેવું બતાવે છે. તેથી નિષ્ફળતાનું કારણ આપણે આપણી અંદર શોધવું જોઈએ.

સાચી રોશની નામના લેખમાં ગાંધીજીએ હિંદમાં રામરાજ્ય નથી તો દિવાળીની ઉજવણી કઈ રીતે કરવી ? તેવો પ્રશ્ન કર્યો છે અને તરત જ જવાબ પણ આપ્યો છે કે – ‘રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલા હોય.’ (પૃ.58)

ટોળેટોળાં ભેગાં થઈને જલાવેલા દીવાની રોશની જોવા જાય છે, પરંતુ આપણે આપણા દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. એવું અજવાળું આપણે આપણા દિલમાં પ્રગટાવીએ તો જ તે દિવસે આપણે મુબારકબાદી લેવાને લાયક બન્યા ગણાઈએ.

ભગવાનની પ્રાર્થના પૂરા દિલથી થાય તો તેનું કલ્યાણ થાય છે. ગાંધીજીએ કહ્યું છે કે –

‘તમે ઈશ્વરની અંતરથી પ્રાર્થના કરો તો તે તમને તમારી બિમારીમાંથી કે ચિંતામાંથી ઉગાર્યા વિના નહીં રહે.’ (પૃ.60)

રામનામના મંત્રમાં એવી અમોઘ શક્તિ પડેલી છે કે જે રામનામ રટે છે તે પોતાને માટે ખજાનો એકઠો કરે છે. આ ખજાનો અખૂટ છે. રોજ સવાર-સાંજ ઘરે નિયમિત રીતે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. એ માટે રામધૂન પૂરતી છે. આપણા અંતરમાં જો આપણે રામની સ્થાપના કરી શકીએ તો આપણું, સમાજનું અને જગતનું કલ્યાણ થયા વિના ન રહે.

રામનામ સંદર્ભે લોકોના મનમાં ઘણીવાર નર્યો દંભ જોવા મળે છે. ગાંધીજી કહે છે કે –

‘રામનું નામ લેવું ને રાવણનું કામ કરવું, એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી નહીં શકીએ.’ (પૃ.67)

રામનામને ગાંધીજીએ એક સરસ ઉદાહરણ દ્વારા તેના અમૃતપણાને બતાવ્યું છે. જેમ માણસ વધારે ખાવા-પીવાથી બીમાર પડે છે પરંતુ ઈશ્વરના નામરૂપી અમૃત પીવાને એવી કોઈ મર્યાદા નથી. એ અમૃત તો જેમ પિવાય તેમ તેની તરસ વધે છે પણ શરત એટલી છે કે એ અમૃત હૃદયમાં વસી જવું જોઈએ. રામનું નામ લેવું હોય તો લેનારે ઈશ્વરમય જીવન ગાળવું જોઈએ.

રામનામ પુસ્તકમાં ગાંધીજીએ આપેલા સુવિચારો પણ સંગૃહિત થયા છે. તેમણે સિમલાથી 07-05-1946માં એક સુવિચાર આપ્યો હતો તે સુવિચાર ભારતમાં કોરોનાના આગમન પછી વધુ સાચો પડતો આપણને જોવા મળે છે. કોરોનામાં પણ ઘણા લોકો તેના ડરથી મરી ગયા છે. ગાંધીજીએ કહ્યું હતું કે –

‘માંદગીને લીધે મરે છે તેના કરતાં માંદગીના ડરથી વધારે માણસો મરણને શરણ થાય છે.’ (પૃ.73)

બેતાળીસમા પ્રકરણમાં બે પત્રો સમાવવામાં આવ્યા છે. આ બે પત્રોમાં પ્રથમ પત્રમાં ગાંધીજીએ કસ્તૂરબાને શારીરિક બિમારીમાંથી કેવી રીતે માર્ગ કાઢવો તે જણાવ્યું છે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ અને કુદરતી ઉપચાર કરવા જોઈએ.

પુસ્તકના પરિશિષ્ટમાં મનુબહેન ગાંધીએ બાપુની રામનામ પ્રત્યેની અચળ શ્રદ્ધા તથા બાપુએ જીવનના છેલ્લા શ્વાસે લીધેલ રા…મ શબ્દ મનુબહેને સાંભળ્યો તેની વાત છે.

રામ ! રામ ! નામના બીજા લેખમાં પ્યારેલાલે ગાંધી હત્યાનું શબ્દચિત્ર આબેહૂબ આલેખી જાણ્યું છે. રામનામ પુસ્તકના ઊંડાણપૂર્વકના અભ્યાસને આધારે મને એવું લાગે છે કે રામનામ ગાંધીજીના હૃદયમાં જ વસી ગયું હતું.

_______________________

સંદર્ભ : રામનામ, ગાંધીજી, ( ભારતન કુમારપ્પાના અંગ્રેજી અનુવાદને આધારે ), ( પ્રથમ આવૃત્તિ : ૧૯૪૯, પુનર્મુદ્રણ – ડિસેમ્બર ૨૦૧૫ ), નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ – ૩૮૦૦૧૪.

ડૉ. ભીખાભાઈ વી. દેસાઈ ( મદદનીશ અધ્યાપક )

નલિની – અરવિંદ એન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કૉલેજ, વલ્લભ વિદ્યાનગર – આણંદ – ૩૮૮૧૨૦

 ઈ-મેઈલ – bhikhajetalpura9371@gmail.com

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 2 March – April 2024